ભોપાલઃ આર્થિક અપરાધ પ્રકોષ્ઠ (Economic Offences Wing)એ જ્યોતિરાદિત્ય સિંધિયાની કથિત જમીન કૌભાંડ મામલે ફરી એકવાર તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ મામલો 10 હજાર કરોડ જમીન કૌભાંડનો છે. જેમાં સિંધિયા પર એક જ જમીનને એક કરતાં વધુ વખત વેચવાનો આરોપ છે. વર્ષ 2014માં આ કેસની તપાસ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ પોલીસે આર્થિક અપરાધ શાખાએ ગુરુવારે ફરી એકવાર જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદના તથ્યોની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે.
ગ્વાલિયરમાં એક ફરિયાદીએ આરોપ કર્યો હતો કે, સિંધિયાએ એક સંપત્તિના દસ્તાવેજોમાં હેરફેર કરીને 6000 ફૂટ જમીનનો ભાગ વેચી નાંખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સિધિંયા ભાજપમાં સામેલ થતાં કોંગ્રેસ સરકાર સંકટમાં મૂકાઈ છે. સિંધિયા સમર્થનમાં રહેલા મોટાભાગના ધારાસભ્યોએ કોંગ્રેસથી બળવો કર્યો છે અને રાજીનામું આપીને રાજભવનને મોકલી દીધા છે. તમામ 19 ધારાસભ્યો હાલમાં બેંગાલુરુમાં રોકાયા હોલાનું સામે આવ્યું છે.