- LoC પર પાકિસ્તાન અને ભારતીય સેના વચ્ચે અથડામણ
- પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
- નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામના ઉલ્લંઘનથી નાગરિકોની સંપતિને નુકસાન
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ભારતીય સેના દ્વારા આખી રાત કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. આ જાણકારી સૂત્રો પાસેથી મળી છે.
સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાને ગુરૂવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાના મનકોટ સેક્ટરમાં નાગરિકો તેમજ તેમની સુવિધાઓને નિશાન બનાવતા કારણ વગર ગોળીબારી કરી હતી.
વધુમાં પાકિસ્તાનની સેના દ્વારા નાગરિક સુવિધાઓને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં નાગરિકોની સંપતિને નુકસાન પહોંચ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 'જે બાદ ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. તેના અનેક બંકર પણ નષ્ટ કરવામાં આવ્યા છે.'