હાવડા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાજ્યપાલે હાવડામાં પથ્થરમારાની ઘટનાઓ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સાવચેતીના પગલા તરીકે, આજે સવારે હાવડાના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ સેવા થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, જે હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સાથે જ હિંસાની ઘટનાઓની સીઆઈડી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બેનર્જીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો: મુખ્યપ્રધાન બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને બજરંગ દળ જેવા અન્ય જમણેરી સંગઠનો હાવડામાં હિંસામાં હથિયારો સાથે સામેલ હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દાને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અથડામણ દરમિયાન જેમની સંપત્તિને નુકસાન થયું છે તે તમામને મદદ કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાને કરી સમીક્ષા: રાજ્યપાલે કહ્યું કે ગુનેગારો સામે અસરકારક અને નક્કર કાર્યવાહી કરવામાં આવશે. સાર્વજનિક મિલકતોને આગ લગાડવી, તે પણ રામ નવમીના પવિત્ર દિવસે, ખૂબ જ ઉશ્કેરણીજનક કૃત્ય છે અને તેને ગંભીરતાથી લેવામાં આવશે. બોસે જણાવ્યું હતું કે સામાન્ય માણસના જીવન, સંપત્તિ અને ગૌરવની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજભવન તેની આંખો અને કાન ખુલ્લા રાખશે. બોસ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ ખાસ કરીને હાવડાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પૂછપરછ કરી હતી.