નવી દિલ્હી:અસામાજિક તત્વોએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને CCTV કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો અને CCTV કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા છે. આ ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તૂટી ગયા છે. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, "ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડ કરી છે". એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે, ભાજપની પોલીસ તેમને રોકવાને બદલે તેમને દરવાજા સુધી લાવી હતી.
આ પણ વાંચો :કેજરીવાલે The kashmir Filesને ટેક્સ ફ્રી બનાવવા પર કર્યો કટાક્ષ કહ્યું, તેને યુટ્યુબ પર અપલોડ કરો
70 લોકોની અટકાયત : સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના આવાસ પર આયોજિત ધરણા દરમિયાન તેમના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી હતી. લોકોએ અહીં નારા લગાવ્યા હતા અને ત્યાં લગાવેલા CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. ફિલ્મ કાશ્મીર ફાઇલને લઈને વિધાનસભામાં તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસે આ કેસમાં લગભગ 70 લોકોની અટકાયત કરી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ્સ અંગે વિરોધ : ઉત્તર જિલ્લાના DCP સાગર સિંહ કલસીના જણાવ્યા અનુસાર, ભાજપ યુવા મોરચા દ્વારા સિવિલ લાઈન્સ ખાતેના મુખ્યપ્રધાન આવાસની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11:30 વાગ્યાની આસપાસ 150 થી 200 પ્રદર્શનકારીઓ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ લોકો કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ્સ અંગે વિધાનસભામાં મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ આમાંના કેટલાક દેખાવકારોએ મુખ્ય પ્રધાનના નિવાસની બહારના બેરિકેડ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અહીં તેમણે નારા લગાવ્યા અને મુખ્યપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા. તેમની પાસે પેઇન્ટનું એક બોક્સ હતું જે તેમણે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનના દરવાજા પર ફેંક્યું હતું. આ દરમિયાન તેણે બૂમ બેરિયરને નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યાં લગાવેલા CCTV કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો :કાશ્મીર ફાઇલ્સનો વિવાદ પર ગુજરાત ભાજપ અને કોંગ્રેસ આમને-સામને
ટૂંક સમયમાં FIR નોંધવામાં આવશે :DCP સાગર સિંહ કલસીના જણાવ્યા અનુસાર, મુખ્યપ્રધાન આવાસ પર હંગામાને લઈને સ્થળ પર હાજર પોલીસકર્મીઓ દ્વારા 70 પ્રદર્શનકારીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. અન્ય તમામ વિરોધીઓને અહીંથી હટાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ અંગે સિવિલ લાઇન્સ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોનું કહેવું છે કે, આ સમગ્ર ઘટના અંગે ટૂંક સમયમાં FIR નોંધવામાં આવી શકે છે.