નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET પરીક્ષા 2024માં કથિત ગેરરીતીના કેસની સુનાવણી કરી છે. આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પાસેથી જવાબ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કૌભાંડની તપાસ માટે અરજી પર NTA અને કેન્દ્રને નોટિસ જારી કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે અનિયમિતતાની ફરિયાદો પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મામલો છે. કોર્ટ અપેક્ષા રાખે છે કે NTA યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશે.
અરજીકર્તા વતી માંગ કરવામાં આવી હતી કે NTA દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે આ માંગણીઓ પર 8 જુલાઈએ વિચાર કરવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે કોઈની તરફથી સહેજ પણ બેદરકારી પર સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પ્રક્રિયા રોકવાની અરજીકર્તાઓની માંગને ફગાવી દીધી હતી. NEET પરીક્ષા 2024માં કથિત ગેરરીતીને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે.